Saturday, 11 November 2017

Hatanu - હટાણું ભાગ - 1

હટાણું - ભાગ : 1

 

👉 પણ ખરેખર તો એનું જવાનું મન જ ક્યાં હતું ? પણ આ તો કાલે સવારમાં જ બ્રાહ્મણો જમવા આવવાના હતાં ને ઘીનો ડબ્બો સાંજની વેળા તોડ્યો ત્યારે ખબર પડી કે,ઘીમાં ગંધ આવતી હતી ! અને એટલે આ રાતે ગાડું જોડીને હટાણે જવાનો વખત આવ્યો.એણે મનમાંને મનમાં વેપારીને બે ચાર ગાળો ભાંડી દીધી."ક્યાં ક્યાંથી ટપકી પડે છે આવા હુડકઢાઓ....!"
👉 બ્રાહ્મણો તો કદાચ દેખું અનદેખું કરીને આરોગી લે પણ એના પછી નાત જમવાની હતી.ને જો એમાં કાચું રહી જાય તો ગામ આખામાં ચોમાસામાં ઉડતા વાણિયાની જેમ વાતો ઉડે ! એની આખી પેઢી કંજુસના પેટની છે ને,કોઇને સરખો કોળિયો એના ઘરેથી મળતો નથી ને....એવું તો ઘણુ બધું.ગામને મોઢે થોડા ગળણા બંધાય ?
👉 "ક્યાં ન્યા ચીલો ચાતરીને હાલે છે....ઢાંઢડ ! આમણો મર ને...."અંધારી રાત અને ઉજ્જડ વગડામાં એને આવવું પડ્યું એની ખીજ હવે બળદો પર ઉતરી હતી.જુનુ એવું ગાડું ઠઠડ...ભમ કરતું જેમતેમ ખેંચાતું હતું.તેલના ઉંજણ વીનાની બળેલો કડેડાટ બોલાવતી હતી.
👉 ગામ વટીને હવે વગડો આવ્યો હતો.જેરામ દરબારની ઉંચી મેડીના ગોખે ટીંગાયેલ ફાનસ પણ હવે તો દેખાતું બંધ થઇ ગયેલું.પસા પટેલની વાડી પણ વટાવી લીધી.દુરથી એણે રેંટની ડોલોમાં ભરેલ પાણીનો થાળામાં ઠલવાવાનો અવાજ પણ સાંભળેલો.ખેતરમાં દિવો લઇને પસા પટેલનો છોકરો પાણી વાળતો હતો એ પણ એણે જોયેલું.પસા પટેલ રેંટ માથે બેઠા હશે એ અનુમાન તો એને આવી જયેલું."આ માળાને રાત આખી પણ જપ લેવો નથી.કોણ જાણે કેમ ભેગું બાંધી જાવુ હશે !..."એમ બબડતો એ નીકળી ગયો.
👉 પસા પટેલની વાડી પછી ગામની સીમ પુરી થઇ અને વેરાન વગડો ચાલું થયો.બે ચીલામાં ગાડું જતું હતું.વગડો ખરેખર વેરાન હતો,એટલો વેરાન કે શિયાળવાની લારી પણ ન સંભળાય !એને ખબર હતી કે,રાતે એકલા આ રસ્તે જવું બરાબર નથી.ગામમાંથી જતી જાનોમાં પણ બબ્બે ચાર ચાર વળાવીયા ભેગાં જ હોય છે-હથિયાર બંધ ! વાતો ચાલે છે કે,રાતે અહિં કાંઇક બને છે.અલબત્ત,કાયમ નહિ પણ ક્યારેક બને છે.જેરામ દરબારનો પાસવાન એક દિ' મોડો મોડો આ રસ્તેથી ગામમાં આવતો હતો અને આ રસ્તે એને એવું કાંઇક દેખાયેલું કે એણે ગામ સુધી મુઠ્ઠીઓ વાળી હતી.અને ડેલીએ આવીને ફસકાઇ પડેલો.બસ,આંગળીઓથી કાંઇક ઇશારા કરતો.બે દિવસ ખાટલામાં રહ્યો અને થોડી થોડી વારે રાડો નાખતો.ત્રીજે દિ' બિચારો ભેમાં ને ભે માં મરી ગયો.
👉 આ વાતની યાદ આવી એટલે એના મનમાં થોડો ડર પેઠો.માળું ખરેખર અહિં કાંઇ બને છે ? અને એણે બળદોને ગાળો ભાંડવાનું બંધ કર્યું.બળદોની પીઠ પર લાકડીને બદલે હવે હાથ ફેરવીને ધીમે અવાજે ડચકારો કર્યો.બળદો દોડવા લાગ્યા.ગાડાંની ભળભળાટીનો અવાજ એને ખુંચવા લાગ્યો.જેમ બને તેમ ઝટ નીકળી જવાય તો સારું એવો વિચાર એને આવ્યો.હજી સામેના ગામના દિવા તો નહોતા દેખાતા.
👉 ગાડું ખરબચડે ચીલે એકસરખે વેગે જવા લાગ્યું.હવે એ રસ્તામાં આવતો ઘેઘુર વડલો સામે દેખાવા લાગ્યો.એનો જોરાવર ઓછાયો જોઇને ઘડીભર તો એનું હદય પણ થડકી ગયું.અહિં જ ક્યારેક અઘટિત બીનાઓ બને છે ને !લોકો આને આ માટે ગોઝારો વડ કહે છે.એને ઘડીભર તો થયું કે પાછો વળી જાઉં ! પણ વળી કાલનો જમણવાર યાદ આવ્યો.ગયા વીના છૂટકો નહોતો.હવે એ ગંજાવર વડ ઝીણી ચાંદનીમાં પણ સ્પષ્ટ દેખાય એટલો નજીક આવી ગયો.ફરી એકવાર એના મનમાં ભય પેઢો પણ મન મક્કમ કરી એણે વિચાર્યું - આ ઘડી આને તો ટપી જાશું.એમાં શી વાર ?
👉 "જય જાપાવાળા ! " હનુમાનનું નામ લઇ એણે બળદોને ડચકાર્યા.બળદો દોડવા લાગ્યા.ગાડાનો ખખડાટ વધ્યો અને ધીમે ધીમે વડલો નજીક આવવા લાગ્યો.( અપૂર્ણ ).
[ ક્રમશ : ]
[ અનુસંધાન આગળના ભાગમાં..... ]
- Kaushal Barad.
[ આપના પ્રતિભાવની રાહ રહેશે. ]

Thursday, 9 November 2017

કાઠિયાવાડના ધુરંધર રાજવીઓની પાઠશાળા : રાજકુમાર કોલેજ

 રાજકુમાર કોલેજ
👉 રાજકોટની "રાજકુમાર કોલેજ" [ RKC ] આજે પણ તેની ભવ્ય પુરાણી ઇમારત, ભાવસિંહજી હોલ અને તેમાં મુકાયેલા હથિયાર વગેરેના પ્રદર્શનોને લીધે ગુજરાતના ગૌરવ સમાન દિપે છે.રાજકુમાર કોલેજ આજે પણ તેના શિસ્ત,શિક્ષણ અને કડક નિયમોને લીધે વિખ્યાત છે.અહિં ભણતા ઘણા વિદ્યાર્થીઓ IPS અને IAS ઓફિસર બન્યા છે.અહીંનુ શિક્ષણ પ્રભાવશાળી છે.તો આ કોલેજનો ઇતિહાસ પણ એટલો જ પુરાણો છે.એ વખતમાં આ કોલેજમાં માત્ર રાજકુમારોને જ પ્રવેશ મળતો.


👉 અંગ્રેજોના વખતમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજઘરાનાના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ જેવી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા જવો પડતો.ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના એ વખતમાં પ્લેનની સુવિધા નહોતી એટલે સ્ટિમરનો દરિયાઇ માર્ગી પ્રવાસ ખેડવો પડતો.જેમાં મહિનાઓ વિતી જતાં અને અડચણો પણ આવતી.
 
👉 આથી,કાઠિયાવાડના બધાં રાજવીઓએ નક્કી કર્યું કે,આપણે સૌએ ફાળો એકત્ર કરીને કાઠિયાવાડમાં જ કેમ્બ્રિજનું શિક્ષણ આપતી કોલેજ બનાવવી.જેથી અહિં જ રાજકુંવરો ઉચ્ચ અને ઉત્તમ શિક્ષણ મેળવી શકે.ફાળો થયો અને રાજકોટમાં "રાજકુમાર કોલેજ"નો પાયો નખાયો.૧૮૬૮ ની સાલમાં મુંબઇના ગવર્નર સ્કોટ ફિત્ઝરાઇવે રાજકુમાર કોલેજની ઇમારતનો પાયો નાંખ્યો અને ૧૮૭૧ ની સાલમાં રાજકુમાર કોલેજ શરૂ થઇ. રાજકુમાર કોલેજમાં ફક્ત રાજકુંવરોને જ અભ્યાસ કરવાની મંજૂરી મળતી હતી.અહિં અભ્યાસ કરનાર અમુક રાજકુમારો ઇતિહાસના ચોપડે સદાય અમર નામ કોતરી ગયા છે.અને આવા મહાન રાજવીઓને લીધે જ રાજકુમાર કોલેજ આજે પણ સુવિખ્યાત છે.ગોંડલના સર ભગવતસિંહજી, ભાવનગરના તખતસિંહજી, રાજકોટના શ્રી બાવાજીરાજ, મોરબીના સર વાઘજી, જામનગરના રણજીત સિંહજી વગેરે આ કોલેજના વિદ્યાર્થી હતા.
 
👉 ભગવતસિંહજી સિવિલ એન્જીનિયર બન્યા અને ગોંડલનું રાજ ઉજાળ્યું.એક મહાન પ્રજાવત્સલ રાજવી તરીકે એમની ઓળખ ઉભરી આવી.એટલા જ તેઓ કેળવણી અને સ્વાસ્થયના હિમાયતી પણ હતાં."ભગવતગોમંડલ" નામે માત્ર ગુજરાતીનો જ નહિ,ભારતીય ભાષાઓમાં પણ અમૂલ્ય એવો કોશ બહાર પાડીને ગુજરાતી ભાષા માટે સદાઅમર કાર્ય કર્યું.એના આ કાર્યને લીધે તેઓ આજે પણ અમર છે.
 
👉 એવી જ રીતે મોરબીની સકલ ફેરવી નાખનાર અને મોરબીને ભારતનું પેરિસ બનાવનાર સર લાખાજી રાજ પણ આ કોલેજમાં ભણેલા.ભારતીય ક્રિકેટના પ્રેરણારૂપ મહાન ખેલાડી અને જેના નામે રણજી ટ્રોફી રમાય છે એવા જામનગરના રાજવી સર રણજીતસિંહજીએ પણ આ કોલેજમાં અભ્યાસ કરેલો.રાજકોટના બાવાજીરાજ અને ભાવનગરના તખ્તસિંહજી ગોહિલ પણ આ કોલેજના છાત્ર હતાં.આમ,ખરેખર કહિ શકાય કે રાજકુમાર કોલેજમાં હિરલા પાક્યા છે અને માટે જ એ કોલેજ આજે પણ વિખ્યાત છે !
 
👉 રાજકુમાર કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ મેકવોટન નામના અંગ્રેજ હતાં.દલપતરામના પુત્ર અને ગુજરાતી ભાષાના ખરેખરા મહાકવિ એવા ન્હાનાલાલે પણ આ કોલેજના છાત્રોને શિક્ષણ આપેલું.સને ૨૦૧૧માં અહિં કન્યાઓ માટે "રાજકુમાર ગર્લ્સ કોલેજ" પણ બનાવવામાં આવી,જેનું ઉદ્દઘાટન તત્કાલીન ગુજરાતના રાજ્યપાલ શ્રીમતી કમલા બેનિવાલે કરેલું.
 
👉 આજે પણ રાજકુમાર કોલેજ એની વિરાસત અને ભવ્યતાને પ્રતાપે સૌને આકર્ષી રહી છે.એનું ભવ્ય બિલ્ડિંગ આજે પણ અડીખમ રહીને પોતાના પ્રતાપી ભુતકાળની ઝાંખી કરાવે છે.તદ્દોપરાંત,એવી જ ભવ્યતા કોલેજના સંકુલની પણ છે.શાસ્ત્રી મેદાન સામે આવેલ આ કોલેજમાં આજે પણ દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.
 
👉 કોલેજના બિલ્ડિંગ મધ્યે આવેલ ભાવસિંહજી હોલ મુલાકાતીઓને હંમેશા આકર્ષતો રહ્યો છે.આ વિશાળ હોલ બેનમુન આભા ધરાવે છે.અહિં વિવિધ પુરાણા હથિયારોનું પ્રદર્શન થાય છે,જેની ઝાંખી જોતા સવાસોએક વર્ષ પહેલાંના ભૂતકાળની યાદ તાજી થાય છે.ખરેખર,કાઠિયાવાડ માટે રાજકુમાર કોલેજ આજે એક વિરાસત જ છે.
 

👉 જસદણ દરબાર આલા ખાચરનો પ્રસંગ -

 
👉 જ્યારે જ્યારે રાજકુમાર કોલેજની વાત સામે આવે એટલે તરત જ એક પ્રસંગ યાદ આવે.એ પ્રસંગ અહિં મુકવા યોગ્ય છે.કોલેજના નિર્માણમાં કેવા માંધાતાઓનું યોગદાન છે તેની એક ઝલક આ પ્રસંગમાં રહેલી છે -
 
👉 વાત છે રાજકુમાર કોલેજના શિલાન્યાસ વખતની.કોલેજનો પાયો નખાયો હતો અને એ પ્રસંગે કાઠિયાવાડના બધાં રાજવીઓ અહિં એકત્ર થયા હતાં.ધ્રાંગધ્રા,જસદણ,ગોંડલ,હાલાર અને ભાવેણા જેવા બધાં રાજ્યના મહારાજાઓ કોલેજના શિલાન્યાસ પ્રસંગે ભેગા થયેલા.કોલેજના ખોદેલા પાયામાં બધાં રાજવીઓ ધુળનો ખોબો ભરી ભરીને નાખતા હતાં.
 
👉 જસદણના દરબાર બાપુ આલા ખાચરનો વારો આવ્યો.આ નાનકડા સ્ટેટના રાજવીએ પાયામાં ખોબો ધુળ નાખવાને બદલે ખોબો ભરીને ચાંદીના સિક્કા નાખ્યા ! બધા અચંબિત થઇ ગયા અને અમુક તો કતરાયા કે,આ ખોબા જેવડા રાજના દરબારને મુઠી દોલતનું ભારે અભેમાન આવ્યું...!
 
👉 એક જણે આલા ખાચરને કહ્યું કે,બાપુ ! આ ભાવેણા,ગોંડલ ને હાલાર જેવા જબરાં અને ભારોભાર ધન-દોલત ધરાવતા રાજના ધણીઓએ તો ધુળ જ નાખી અને તમને વળી એવું તો શું અભિમાન આવ્યું ? આ બધાં ધારત તો ચાંદીના ગાડા ઠલવી શકત તોયે કોઇએ તમારી જેમ દોલતનો ઘમંડ ન લાવ્યો.ને તમારે વળી રાજ કેવડુ ને દોલત કેવડી...!
 
👉 આ સાંભળીને જસદણ દરબાર આલા ખાચરે કહેલું કે,બાપુ ! અભેમાનની વાત નથી પણ આટલી જીંદગીમાં હજી સુધીમાં કોઇ દિ કોઇને ધુળ નથી આપી,બને એટલી દોલત જ આપી છે.ને જો હવે જાતે દા'ડે હું ખોબો ભરીને ધુળ આપું તો મારી જણનારીમાં ધુળ પડે,ભાઇ ! મારી કને દોલત ભલે ઓછી હોય પણ દાતારી ઘણી છે.
 
👉 કેવી દાનવૃત્તિ ! કેવી દાતારી !જે કોલેજના પાયામાં આવા બીજ રોપાયેલા છે એમાંથી કાઠિયાવાડના ધુરંધરો પાકે એમાં શી નવાઇ !

Writer - Kaushal Barad.